(N/A) મુખગુહા બે મુખ્ય કાર્યો કરે છે: ખોરાકનું ચાવવું અને ગળવાની પ્રક્રિયામાં મદદ કરવી.
દાંત અને જીભ લાળની મદદથી ખોરાકને ચાવે છે અને તેને સારી રીતે મિશ્રિત કરે છે.
લાળમાં રહેલું શ્લેષ્મ (Mucus) ચાવેલા ખોરાકના કણોને ચીકણા બનાવીને એક ગોળાકાર પિંડ (Bolus) બનાવવામાં મદદ કરે છે.
ત્યારબાદ આ પિંડ (Bolus) ગળવાની પ્રક્રિયા દ્વારા કંઠનળીમાં અને પછી અન્નનળીમાં જાય છે.
આ પિંડ અન્નનળીમાં સ્નાયુઓના ક્રમિક તરંગવત સંકોચન દ્વારા નીચે ઉતરે છે,જેને પરિસંકોચન (Peristalsis) કહેવામાં આવે છે.
જઠર-અન્નનળી વાલ્વ (Gastro-oesophageal sphincter) ખોરાકને જઠરમાં પ્રવેશતા નિયંત્રિત કરે છે.
મુખગુહામાં સ્ત્રવિત લાળમાં વિદ્યુતવિભાજ્યો $(Na^{+}, K^{+}, Cl^{-}, HCO_{3}^{-})$ અને ઉત્સેચકો,જેમ કે લાળીય એમાયલેઝ (Salivary amylase) અને લાયસોઝાઇમ (Lysozyme) હોય છે.
પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખગુહામાં કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચક,લાળીય એમાયલેઝની જળવિભાજન ક્રિયા દ્વારા શરૂ થાય છે.
અહીં આ ઉત્સેચક દ્વારા લગભગ $30\%$ સ્ટાર્ચનું જળવિભાજન થઈને ડાયસેકેરાઇડ માલ્ટોઝ બને છે.
$\text{સ્ટાર્ચ} \xrightarrow{\text{લાળીય એમાયલેઝ}, \text{pH } 6.8} \text{માલ્ટોઝ}$
લાળમાં રહેલ લાયસોઝાઇમ એક એન્ટિબેક્ટેરિયલ એજન્ટ તરીકે કાર્ય કરે છે જે ચેપને અટકાવે છે.